Translate

13 May 2020

પોરબંદર સરકારી પોલીટેકનીકના ૯૦૦ જેટલા વિધાર્થીઓ મેળવી રહ્યા છે ઓનલાઇન એજ્યુકેશન



લોકડાઉનનુ ચુસ્ત પાલન કરવાની સાથે વિધાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં તેની તકેદારી રાખવામાં આવી રહિ છે :આચાર્ય એમ.બી. કાલરીયા
ઘર બેઠા શિક્ષણ મેળવવાની સાથે હું લોકડાઉનનું પાલન કરવામાં તંત્રને મદદગાર બન્યો છું : વિધાર્થી પ્રતાપ પરમાર
સંકલન :- જીતેન્દ્ર નિમાવતમાહિતી બ્યુરોપોરબંદર

પોરબંદર તા૧૩, કોરોના મહામારી સામે દેશવાસીઓ એકજુથ થઇને લડી રહ્યા છે. એ દિશામાં વિધાર્થીઓનો પણ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. વિધાર્થીઓને ઘર બેઠા ઓનલાઇન શિક્ષણ મળે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારનાં શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીઓ, ખાનગી કોલેજોના વિધાર્થીઓને અધ્યાપકો કોમ્પ્યુટરના માધ્યમથી શિક્ષિત કરી રહ્યા છે. પોરબંદરમાં આવેલી સરકારી પોલીટેકનીક કોલેજનાં ૯૦૦ જેટલા વિધાર્થીઓ  ઘરે બેસીને  ઓનલાઇન શિક્ષણનો લાભ લઈ રહયા હોઇ,  કોરોના વોરીયર્સ બન્યા છે. મોબાઇલ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ટેકનોલોજી આધુનિક સમયની મહત્વની એક ખોજ છે. મોટાભાગના કામ માટે આ માધ્યમ ખુબ જ જરૂરી છે. ઘરથી દુર રહેતા પરિવારના કોઇ સભ્ય સાથે વાત કરવી હોય, પૈસાની લેવડ દેવડ કરવી હોય, વેપાર કરવો હોય, કોઇપણ જાણકારી મેળવવા માટે મોબાઇલ, કોમ્પ્યુટર ઇન્ટરનેટ ખુબ જ મહત્વનું માધ્યમ છે. ઇન્ટરનેટ ટેકનોલોજીના કારણે વિશ્વ એક ગામડું કે એક નાનુ ફળિયુ બની ગયુ છે. આ ટેકનોલોજીનો શિક્ષણ ક્ષેત્રે પણ લાભ મળી રહ્યો છે.
        
સરકારી પોલીટેકનીક પોરબંદરના આચાર્ય એમ.બી. કાલરીયાએ કહ્યુ કે, લોકડાઉનનુ ચુસ્ત પાલન કરવાની સાથે વિધાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં તેની તકેદારી રાખવામાં આવી રહિ છે. પોલીટેકનિક કોલેજમા આવેલી ડીપ્લોમાં સીવિલ ઇજનેરીના વિવિધ વિષયો જેવા કે એડવાન્સ સર્વે, બિલ્ડીંગ ડ્રોઇગ, વોટર રીશોર્સ ઈજનેરી, વગેરે જેવા અઘરા  વિષયો Google meet application  ના માધ્યમ થી સીવિલ વિભાગના વડા ડો.કુકડીયા અને તેમના સ્ટાફ દ્વારા વિધાર્થીઓને ઓનલાઈન રહિને શિક્ષણ આપી રહયા છે. કોમ્પ્યુટર, મીકેનીકલ,ઈલેક્ટ્રીકલ એન્જીનીયરીંગ સહિતના  વિભાગોમાં  ૯૦૦ જેટલા વિધાર્થીઓ લોકડાઉનની સ્થિતિમાં ઓનલાઇન એજ્યુકેશનનો લાભ મેળવી રહયા છે. સીવિલના વિધાર્થી પ્રતાપ પરમારે કહ્યુ કે, દરરોજ બે લેકચરમાં હું હાજરી આપુ છું. ઘર બેઠા શિક્ષણ મેળવવાની સાથે હું લોકડાઉનનું પાલન કરવામાં તંત્રને મદદગાર બન્યો છું. વિધાર્થી ધ્રુવીન ભરાણીયાએ કહ્યુ કે, ઓનલાઇન લેકચર બાદ પણ કોઇ મુંજવણ હોય તો સર ટેલીફોનિક વાતચીત કરીને પ્રશ્નનું નિરાકરણ લાવે છે. અમે કોલેજ જઇ શકતા નથી, છતાપણ અમારો અભ્યાસ ક્રમ ચાલુ છે. અને ઓનલાઇન માર્ગદર્શન મળતુ રહે છે. 
        
અધ્યાપક ડો.વિજયભાઇ કુકડીયાએ કહ્યુ કે, કોરોના મહામારી દરમિયાન સિવિલ વિભાગ સહિત કોલેજના તમામ અધ્યાપકો વિધાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પુરૂ પાડવાની સાથે વિધાર્થીઓને વર્તમાન વિષયો સાથે સંપર્ક રાખવા ઉપરાંત  હકારાત્મક  અભિગમ રાખીને આવનારા ભવિષ્ય માટે નિરાશા વગર આગળ વધવા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે. કોમ્પ્યુટર એન્જીનીયરીંગ વિભાગનાં અધ્યાપક સાગરભાઇ રામાણીએ કહ્યુ કે, ઓનલાઇન લેકચર લેવાની સાથે વિધાર્થીઓ લોકડાઉનનું પાલન કરે તેની સમજ આપવામાં આવે છે. સાથે સાથે એડમોડો સાઇટ પરથી ક્વિઝ લેવામાં આવે છે. યુ ટ્યુબના માધ્યમથી વિધાર્થીઓ પ્રેકટિકલ જ્ઞાન મેળવે છે. આમ કોવિડ-૧૯ સંક્રમણ ન ફેલાઇ તે માટે સરકાર અને લોકો આપસમાં એક થઇને કોવિડ-૧૯ને હરાવવા માટે કાર્યરત છે ત્યારે વિધાર્થીઓ પણ ઘરે બેસીને ઓનલાઇન શિક્ષણ મેળવીને કોરોના મહામારીનું સંક્રમણ ન ફેલાઇ તેની તકેદારી રાખીને કોરોના વોરીયર્સ બન્યા છે.